મુલાકાતી નંબર: 430,017

Ebook
માતાપિતાના સ્પર્શની અનુભૂતિ
માતા પિતાના સ્પર્શ અનુભૂતિ લગભગ એક મહિના પહેલા અમેરિકામાં એટલાન્ટા હોસ્પિટલમાં એક દાદા નવજાતશિશુને પોતાના ખોળામાં રાખી પ્રેમથી પોતાનો હાથ બાળકના માથા પર, હથેળી પર તેમજ શરીરના વિવિધ ભાગો પર ફેરવે છે અને બાળક શાંતિથી સુઈ રહ્યું હોય તેવો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પ્રેમાળ સ્પર્શમાં કેટલો જાદુ હોય છે અને બાળકોને કેટલી માનસિક હુંફ મળતી હશે કે કુટુંબીજન નાં હોય તો પણ એ સાનિધ્યને બાળકો ઓળખી જતા હશે. નવજાતશિશુ જન્મે એટલે પહેલા કલાકમાં જ તેને માતાના સ્તનનો સ્પર્શ કરાવવો એવું હવે તબીબી વિજ્ઞાને સુચન કર્યું છે. ઓછા વજનવાળા અને અધૂરા માસે જન્મેલા બાળકોમાં ‘કાંગારું કેર’ સારવાર છેલ્લા દસકામાં ખુબ જ પ્રચલિત થયેલી છે. તેમાં પણ બાળકને માતાના શરીરનો સીધો સંપર્ક કરવા મળે તે જ હેતુ રહેલો છે. સ્તનપાન દ્વારા નવજાતશિશુને માતાની છાતીનો સ્પર્શ થાય છે એ કુદરતની અદભુત ગોઠવણ છે. આ સ્પર્શ અને સંપર્કથી બાળકને માત્ર પોષણ જ નથી મળતું પણ તેનું વજન, તેની રોગપ્રતિકારક શક્તિ અને તેની પાચનક્રિયાનો પણ વિકાસ થાય છે. બે માસનું બાળક કે જે હજુ માતાને જોઈને ઓળખતું નથી પણ તેને માતાના સ્પર્શ દ્વારા અનુભવાતી ગરમીનો અહેસાસ હોય છે આ ગરમીથી તે તરત માતાને ઓળખી જાય છે. બીમાર બાળકને પણ જ્યારે માતા તેને કપાળે હાથ ફેરવે કે તરત શાંત તો થઈ જ જાય છે પણ તેની બિમારી પણ તરત ભાગવા લાગે છે. બીમાર તથા લેપ્રસીથી પીડાતા બાળકોને પણ પ્રેમથી સ્પર્શ કરવો તેવું મધર ટેરેસાએ સૂચન કર્યું હતું. બાળક જેમ જેમ મોટું થાય તેમ ચાલતા શીખવું, ખાતા શીખવું એમ દરેક સ્પર્શમાં કુટુંબીજનોના પ્રેમાળ સ્પર્શનો ખુબ મહત્વનો ફાળો હોય છે. દાદા-દાદી જ્યારે નાના બાળકને કપાળ પર હાથ મૂકી હાલરડાં ગાઈ બાળકને સુવડાવે છે ત્યારે બાળકનો દિવસભરનો થાક ઉતરી જાય છે. બાળક કોઈ પણ પ્રકારની ચિંતા કે ભારમાં હોય તો તે તણાવ ઉષ્માભર્યા સ્પર્શથી તરત દુર થઈ જાય છે. નાનપણમાં જ માતાના ચુંબનો અને આલિંગનો મેળવેલા બાળકોનો આત્મવિશ્વાસ વધારે હોય છે. ઘણીવાર શિક્ષકોનો વિધાર્થી સાથેનો સ્પર્શ પણ જાદુનું કામ કરે છે. બાળકોએ પણ મોટા થઈને તેમના માતાપિતાને પ્રેમાળ સ્પર્શ આપવાનો છે. તેમણે જે પ્રેમ તેમના માતાપિતાના સ્પર્શથી મેળવ્યો હતો તે જ પ્રેમ હવે તેમણે તેમના વૃદ્ધ માતાપિતાને હુફાળા સ્પર્શથી આપવાનો હોય છે. સ્પર્શ કોઈ પણ ઉંમરના બાળકો, યુવાનો કે વડીલોમાં નવા પ્રાણ પૂરી શકે છે, નવી ચેતના લાવી શકે છે. લગભગ પાંચ વર્ષ પહેલા એક ગુજરાતી નાટકમાં પરેશ રાવલ એક પુત્રને પૂછે છે, ‘તારા પિતાને છેલ્લે તું ક્યારે ભેટ્યો? તેમના ખભા અને છાતીનો તે છેલ્લે સ્પર્શ ક્યારે કર્યો?’ આમ પિતા-પુત્રના સંબંધોની પૂર્ણતામાં સ્પર્શની મહત્તા નાટકના માધ્યમ દ્વારા અદભુત રીતે સમજાવવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો