ગિવિંગ વિધાઉટ કિપિંગ સ્કોર
આપણા વડીલો કહેતા કે પૈસો, સમય અને ભોજન બધાને આપતા રહો. આ એક એવો કુદરતી નિયમ છે કે આ ત્રણે વસ્તુ આપવાથી લાંબા સમયે વધતી જ હોય છે. ઈશ્વર પણ એવી યોગ્ય વ્યક્તિને જ શોધતો હોય છે કે જેના દવારા તે દુનિયામાં જરૂરિયાત વ્યક્તિઓને પોતાની મદદ પહોંચાડે. બિનશરતી અને આભારની અપેક્ષા વિના આપણું કર્તવ્ય સમજી કોઈને કરેલી મદદ તમને ખુશી, આનંદ, આત્મવિશ્વાસ અને તમારા અન્ય કામોમાં સફળતાનો રાહ ચીંધે છે. કોઈ શરતથી, અપેક્ષાથી કે પૈસાથી કોઈને આપેલી વસ્તુમાં તમે એકલા જ ખુશ થાઓ છો પણ કોઈને કરેલી બિનશરતી મદદ લેનાર અને આપનાર બંનેને લાંબા ગાળાની ખુશી આપે છે. તે બંને વચ્ચે સંબંધોનો એક મજબુત સેતુ રચાય છે જેના તાણાવાણા બંને વ્યક્તિના હ્રદય અને મન સાથે જોડાયેલા હોય છે. જ્યાં અપેક્ષાઓ માર્યાદિત હોય ત્યાં સંબંધોની સીમા વિસ્તરતી જ જતી હોય છે.
આનો અર્થ એ પણ નથી કે ધંધો કરનારે બધાને પોતાની ચીજવસ્તુઓ મફત આપવી. પોતાનો ધંધો કરતા કરતા સમાજ ઉપયોગી કામો પણ કરતા જવા, શૈક્ષણિક સંસ્થાઓમાં દાન પણ કરતા કરતા અને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરતા કરતા પોતાનો બિઝનેસ સફળતા પૂર્વક વધારી પણ શકાય. પૈસો, ખાવાની વસ્તુઓ અને સમયનું દાન કરનાર વ્યક્તિ અચાનક જ સારું અનુભવવા લાગે છે. સારી ભાવના અને સારા વિચારો તેના મન-મગજ સુધી પહોંચે છે. સુંદર અને સંતોષી વિચારો અને કામોથી તેનું જીવન પણ સાર્થકતા અને સંતુષ્ઠતા અનુભવે છે. કોઈને કઈક આપ્યાનો પરમ સંતોષ તેને મજબુત અને સ્વચ્છ વિચારો આપે છે. આ વિચારો જ તેનામાં શક્તિનું સર્જન કરે છે. પોતાની પાસે છેલ્લો રૂપિયો રહ્યો હોય તો પણ એ રૂપીઓ આપી દેવાની હિંમત દાખવનારા પાસે કદીએ ધન ખૂટતું નથી. છેલ્લો રૂપીઓ પણ હિંમતથી જેને જરૂર હોય તેને આપ્યા પછી તેને ક્યાંકથી પણ કોઈ ઈશ્વરીય મદદ મળી જતી હોય છે કે તેની આપનારે કદી કલ્પના પણ ના કરી હોય.
અમદાવાદમાં મણીનગરમાં બનેલી એક સત્ય ઘટના છે. એક વાર એક કાકા મૃત્યુ પામ્યા પછી થોડા દિવસ પછી અને ઘરમાં શોકનું વાતાવરણ થોડું હળવું થયું પછી તેમના જ એક પરિચિત આવ્યા અને કહ્યું કે મૃતકે બે વર્ષ પહેલા મારી પાસે પચાસ હજાર રૂપીયા તમારું આ જ ઘર રીનોવેટ કરવા લઈ ગયા હતા. આ સાંભળી તેમના ત્રણમાંથી એક પુત્રે એ ભાઈને બાજુમાં બોલાવી બીજી જ મિનિટે એટલા રૂપિયાનો ચેક આપી દીધો. તેમના ગયા બાદ ઘરના સંભ્યો સાથે એ ભાઈને આટલો ઝડપથી ચેક આપ્યા બદલ વાતોમાં થોડી ઉગ્રતા આવી ગઈ. પણ સંસ્કારી ઘર હતું આથી વાત આગળ વધી નહીં. પૈસાનો ચેક આપનાર ભાઈએ કહ્યું, ‘તેમણે આવીને આપણા પિતાજીનું નામ દીધું, અને આપણા પિતાનું સામજિક સ્થાન અને મોભો આ પૈસા આપવાથી વધશે. લોકો તેમને યાદ કરશે. મેં ધાર્યું હોત તો પૈસા આપ્યા પહેલા હું પુરાવા માંગી શકી હોત. પણ તેનાથી પપ્પાએ જીવનભર કરેલા સદ્કર્મોની મહત્તાની આજુબાજુ એક લક્ષ્મણ રેખા રચાઈ જાત.’ ઘરના લોકોને ધીમે ધીમે આ વાત સમજમાં આવી, મૃત્યુને લગભગ એક માસ વિત્યું હશે ત્યાં નજીકની એક બેંકમાંથી એક ભાઈ આવ્યા અને કહ્યું, ‘તમારા પિતાજીના મૃત્યુના સમાચાર મળ્યા. તેઓ છેલ્લા છ વર્ષથી અમારી બેન્કના એક રીકરીંગ ખાતામાં દર માસે દસ હજાર રૂપિયા મુકતા. આ ખાતામાં વ્યાજ સાથે લગભગ નવ લાખ રૂપિયા જેટલી રકમ જમા થયેલ છે. મને અમુક ડોક્યુમેન્ટસ આપજો અને તમારી મમ્મીએ અમુક કાગળમાં સહી કરવાની રહેશે. તરત આ પૈસા તમને મળી જશે’. ઘરના બધા જ સભ્યોમાં એક આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. પચાસ હજાર રૂપિયા માંગનાર વ્યક્તિને કશું જ પૂછ્યા વિના પૈસા આપી દેનાર કુટુંબને ઈશ્વરે તેમના જ પૈસા બીજી રીતે વાળી દીધા.
કહે છે ને કે ‘ખાલી થઈ જવું તે ક્યારેય ખોટ નથી.’ નિસ્વાર્થભાવે કોઈને કઈક આપવાથી માનવીય સંબંધોની માવજત આપોઆપ થાય છે. વ્યક્તિને મળેલો ઉચ્ચપદ કે હોદ્દો તેના આપવાના સ્વભાવથી જ દીપી ઉઠે છે. કામ કર્યાનો બદલો કે પૈસા ‘લેનાર’ અને અને અપેક્ષારહિત ‘આપનાર’ ને થતો ભેદ જોઈએ. ‘લેનાર’ને માન મળે છે તો ‘આપનાર’ને આદર મળે છે. ‘લેનાર’ને સંતોષ મળે છે જે ક્ષણિક હોય છે જ્યારે ‘આપનાર’ને સુખ મળે છે જે જીવનભરનું હોય છે. ‘લેનાર’ બીજાની નબળાઈઓ શોધવામાં વ્યસ્ત હોય છે જ્યારે ‘આપનાર’ પોતાની શક્તિ વધારવામાં સમર્પિત હોય છે. ‘લેનાર’ ભલે સફળ ગણાય પણ ‘આપનાર’ વ્યક્તિનું સ્થાન લોકોના હદયમાં મુલ્યનિષ્ઠ વ્યક્તિ તરીકે જીવનભર રહે છે. ‘લેનાર’ પ્રત્યે જાણે અજાણે લોકોમાં થોડો વહેમ અને શંકા રહે છે જ્યારે ‘આપનાર’ પ્રત્યે લોકોને હંમેશા વિશ્વાસ રહે છે. ‘લેનાર’માં લોકોને થોડો ઘણો પણ સંશય દેખાય છે જ્યારે ‘આપનાર’ વ્યક્તિના સંસ્કાર આપોઆપ દેખાય છે. ‘લેનાર’નું મગજ તૃષ્ણાથી ખદબદતું હોય છે જ્યારે ‘આપનાર’ના મગજમાં દયાભાવ છલોછલ હોય છે. ‘લેનાર’ની સંપત્તિ વધશે જે કેટલી ટકી રહેશે જેની કોઈ ખાતરી નથી હોતી જ્યારે ‘આપનાર’ના સદગુણો વધશે જેનો લાભ ઘણી પેઢીઓને મળશે.
આપનાર વ્યક્તિમાં આપવાની તેની ભાવના જ તેની પાસે કશું નાં હોય તો પણ વસ્તુ કેવી રીતે આપવી તે રસ્તો સુઝાડશે. એક વાર વરસાદની ઋતુમાં દાનેશ્વરી કર્ણની પરીક્ષા લેવા ભગવાન શ્રીકૃષ્ણે એક વ્યક્તિને મોકલ્યો અને નમસ્કાર કરી તે વ્યક્તિએ કર્ણ પાસે ચંદનના લાકડાની માંગણી કરી. ભગવાન શ્રીકૃષ્ણને ખાતરી હતી કે વરસાદની ઋતુમાં ચંદનનું લાકડું આપતા વૃક્ષો લીલા થઈ ગયા હોય આથી ચંદનનું લાકડું આપવું અસંભવ છે. પણ દાનેશ્વરી કર્ણ જેનું નામ. આવનાર વ્યક્તિની માંગણી સાંભળી રાજા કર્ણએ પોતાના મહેલમાં આજુબાજુ નજર ફેરવી અને તરત હુકમ કર્યો કે મહેલના બારણા જે ચંદનના લાકડામાંથી બનેલ છે તે બારણા તોડી આવનાર વ્યક્તિને તે આપવામાં આવે. જેને ખરા હ્રદયથી સમય, ભોજન કે ધન કોઈને આપવું જ છે તેને હંમણા નહીં પણ થોડા સમય પછી કે અત્યારે મારી પાસે વ્યવસ્થા નથી તેવા બહાના હોતા જ નથી. તે ચોવીસે કલાક અને બારેમાસ કોઈને પણ કોઈ પણ પ્રકારની મદદ કરવા તત્પર જ હોય છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે કોઈની સાથે તમે હાથ નહીં મિલાવો તો ચાલશે પણ કોઈના મદદની યાચના માટે ફેલાયેલા હાથમાં તમે સમયસર મદદ નહીં પહોચાડો તે ના ચલવી લેશો. મધર ટેરેસાએ પણ કહ્યું હતું કે કોઈને તમે કેટલી મદદ કરો છો તે અગત્યનું નથી પણ મદદ કરતી વખતે તમે કેવો ભાવ રાખો છો તે અગત્યનું છે. એડમ ગ્રેન્ટ નામના લેખકે ‘ગીવ એન્ડ ટેઈક’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તેણે કહ્યું કે જ્યારે પણ તમે તમારા માટે એક ડોક્ટર, પ્લમ્બર, લોયર કે ટીચર પસંદ કરો છો તો તમે એ જ જુઓ છો કે તેઓ ખરેખર સર્વિસ આપવા માંગે છે કે માત્ર લેવાની જ નિયત ધરાવે છે. કોઈ શરત વગર આપવાનું જ બાદમાં તે સફળતાનો આધાર બની જાય છે. અમારા એક ડોક્ટર મિત્ર દર ઉનાળામાં અમદાવાદ નજીક કોબા ગામ પાસે જરૂરિયાત કુટુંબોમાં વહેલી સવારે છાશનું વિતરણ કરે છે. તેમણે પોતાનો અનુભવ કહ્યો, ‘એક લોટો છાશ સ્વીકારતી વખતે ગરીબ ગ્રામજનોના મુખ પર જે સંતોષની જે ભાવના હું જોતો તે સુખ મને એક ઓપરેશન કર્યા પછી પચાસ હજાર રૂપિયા સ્વીકારતા પણ ક્યારેય મળ્યું નથી.’
ભેટ, ખુશી અને હાસ્યનો તો વણલખ્યો નિયમ છે કે તેની વહેચણી કરનારને તે અવશ્ય પાછા જ મળે છે. હજાર રૂપિયાનો નફો લઈ માલ વેચનાર વેપારીને સંતોષ મળે તેના કરતા સો રૂપિયાનું દાન કરનારને વધુ આત્મસંતોષ મળે છે. આપણા પૂર્વજો ગાય, કુતરાઓને ઘાસ કે રોટલી ખવડાવીને જ જમવું તેવો નિયમ અમસ્તો નહીં પાળતા હોય. સુખ નામની ઈમારતના પાયાના ચણતરમાં જ સંતોષ હોવો જરૂરી છે. સંતોષ ક્યારેય ખરીદી નથી શકાતો પણ કઈક આપીને મેળવી શકાય છે. આપવાની વૃત્તિ ધરાવનાર વ્યક્તિના કુટુંબીજનો અને કર્મચારીઓ પણ તેમનાથી એક સુરક્ષિતતા અનુભવે છે. ભગવાન પણ આપનાર વ્યક્તિનું ધ્યાન એ રીતે તો રાખે જ છે કે તે જીવનમાં ક્યારેય હિંમત ગુમાવતો નથી કે નિરાશ થતો નથી.
લેખકવિજય ભરાડ
on January 9, 2018 at 5:50 am -
વાહ
ભાવ સભર લેખ
સ્વામી સચ્ચિદાનંદજીના લેખોની યાદ આવી ગઈ.
લેખકDr. Ashish Chokshi
on January 10, 2018 at 8:33 am -
આભાર વિજયભાઈ
લેખકFalak Barot
on January 9, 2018 at 7:52 am -
Lekh vachi ne pan anero aanad ane santosh malyo. Aabhar.
લેખકDr. Ashish Chokshi
on January 10, 2018 at 8:35 am -
thanks falakbhai
લેખકDr. Shail Patel
on January 9, 2018 at 8:59 am -
Khub j saral and sundar..
લેખકDr. Ashish Chokshi
on January 10, 2018 at 8:34 am -
thanks shail
લેખકDr. Prem Madan
on January 9, 2018 at 9:24 am -
Very Noble article. Once you start reading, you stop only at the end. That’s what joy of giving is.
લેખકDr. Ashish Chokshi
on January 10, 2018 at 8:34 am -
thanks dr prem madan
લેખકdipsha Shah
on January 9, 2018 at 3:10 pm -
Nice article, sir.
લેખકDr. Ashish Chokshi
on January 10, 2018 at 8:33 am -
thanks
લેખકDr Himanshu Trivedi
on January 14, 2018 at 10:11 am -
Absolutely touchy article with true message for today’s complex life.
લેખકDr. Ashish Chokshi
on January 15, 2018 at 9:58 am -
thanks himanshubhai