૧૯૯૬ના વર્ષની વાત છે. મારી હોસ્પિટલની નજીક આવેલા ડો.પૂર્ણાબહેન પટેલના મેટરનીટી હોમમાં એક નવું જન્મેલું બાળક જોવા જવાનું થયું. બાળકના માતા-પિતાને મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકના માતા-પિતા બંને પ્રજ્ઞાચક્ષુ છે. પિતા મનહરભાઈ અને માતા દયાબહેને તરત પૂછ્યું, ‘અમારી દીકરીને બધું બરાબર છે ને? તે બરાબર જોઈ શકતી હશે ને?’ તેમની ચિંતા સમજી શકાય તેવી હતી. પતિ-પત્ની બંને દ્રષ્ટીવિહીન હોવા છતા જીવન પ્રત્યે ખુબ હકારાત્મક અભિગમવાળા અને ઉત્સાહી હતા અને એકલા જ હતા અર્થાત સયુંકત કુટુંબ ન હતું. બંને વ્યવસાયે સંગીતના શિક્ષક હોઈ તેમની દીકરીનું નામ પણ તેમના વ્યવસાયને અનુરૂપ પાયલ રાખ્યું હતું.
પછી તો પાયલને લઈને તેમણે રસીકરણ અને નાનીમોટી તકલીફોને કારણે મને મળવા આવવું પડતું હતું આથી અમારે સારી દોસ્તી થઇ ગઈ. સામાન્ય બાળકની માતાને સ્તનપાનમાં પડતી કોઈ તકલીફ દયાબહેનને પડી જ નહીં. પાયલને અનુલક્ષીને પણ તેમને કોઈ વિશેષ પ્રશ્નો ન હતા. તેઓ મારા મોઢે પાયલનો વિકાસ કેમનો છે અને તે કેવી દેખાય છે તે સાંભળવા હંમેશા ઉત્સુક રહેતા. મને ઘણીવાર થતું કે નાના બાળકને આપવા પડતા અલગ અલગ ટીપાં, અને તેમાંથી પણ ચાર કે પાંચ ટીપાં નો ડોઝ હોય, ઘણીવાર ૨.૫ મિલી. કે ૪ મિલી. જેવો પણ ડોઝ હોય, તો આ બંને લોકો કેવી રીતે મેનેજ કરતાં હશે.?
ભગવાને પણ જાણે પાયલને વરદાન આપ્યું હોય તેમ સામાન્ય બાળકો કરતા તેનો માનસિક વિકાસ અદભુત હતો. તે હસતા, વસ્તુઓ પકડતા અને ચાલતા ખુબ ઝડપથી શીખી ગઈ હતી. બંને માતા-પિતા પાયલને જોઈ શકતા ન હતા આથી તેના શરીર પર, માથા પર વાંરવાર હાથ ફેરવી તેમની દીકરીને અનુભવતા હતા. તેમણે તેમના ઘરમાં અવાજ વાળા રમકડાં વધુ રાખ્યા હતા. ભલે તેઓ જોઈ શકતા ના હોય પણ પાયલને તૈયાર કરવામાં, સુંદર કપડા પહેરાવવામાં અને સ્વચ્છ રાખવામાં કોઈ કચાશ રાખતા ન હતા. પાયલ એક વર્ષની થઇ અને તેઓ આવ્યા ત્યારે મેં પૂછ્યું, ‘પાયલને આટલા મોટા ઝાંઝર કેમ પહેરાવ્યા છે?’ તેમણે કહ્યું, ‘શું કરીએ, હવે તે ચાલતા દોડતા શીખી ગઈ છે. અમે તેને ઝાંઝરના અવાજની દિશા પરથી પકડી લઈએ છીએ.’ અન્ય જોઈ શકતા માતા-પિતાના બાળકોની જેમ તે પડી ગઈ હોય, વાગ્યું હોય કે દાઝી ગઈ હોય તેવું પાયલની સાથે બન્યું જ નહીં. ત્રણ વર્ષની પાયલને જ્યારે તેઓ મારા રૂમમાંથી બતાવીને બહાર નીકળતા ત્યારે પાયલ કન્સલ્ટીંગ રૂમના બારણા પાસે હાથ આડો કરીને ઉભી રહે અને તેના મમ્મી-પપ્પા નીકળી જાય પછી મને બાય કહી દોડી જાય. નાની ઉમરે તે તેના મમ્મી-પપ્પાનું ધ્યાન રાખતી થઇ ગઈ હતી. પાંચ વર્ષની પાયલ કોઈ પણ નવી વસ્તુ જુએ તો તેનું લાંબુ વર્ણન કરતી જાણે તે પોતાની દ્રષ્ટીથી તેના માતાપિતાને દુનિયાની સુંદરતાનો અહેસાસ કરાવવા માંગતી હતી. અમારા બાળકોના ડોકટરોને તો આ ઉમરના બાળકો તેમના માતાપિતાને વધુ પ્રશ્નો પૂછે તેવો અનુભવ હોય છે.
મનહરભાઇએ તેમને મળેલી નબળાઈ ને ચેલેન્જમાં ફેરવી નાખી જ્યારે આંઠ વર્ષની પાયલની સ્કુલમાં વેશભૂષાની હરીફાઈ હતી. પાયલ અંધ વ્યક્તિનો અભિનય કરી પ્રથમ આવી. પોતાની નબળાઈને બાળક દવારા અભિનયના માધ્યમથી દુનિયાને બતાવવી તે કાચાપોચાનું કામ નહીં. ૧૪ વર્ષની પાયલને જ્યારે કુતરું કરડ્યું અને તેને હડકવા વિરોધી રસીના પાંચ ઇન્જેક્શન લેવા પડ્યા એ સિવાય મે ક્યારેય તેમને દુખી જોયા નથી. ૧૫ વર્ષ સુધી પાયલના બધાજ કાગળ તેમની પાસે હંમેશા વ્યવસ્થિત ગોઠવેલા તૈયાર જ રહેતા. પાંચ વર્ષ પહેલાનું કોઈ કાગળ માંગો તો પણ પાયલની ફાઈલમાં આંગળીઓ ફેરવી તેઓ તુરંત જોઈતો કાગળ કાઢી આપતા. ઈશ્વરે આપણને ઘણું આપ્યું હોય છે છતા આપણામાંના ઘણાને જીવન પ્રત્યે હંમેશા ફરિયાદ અને અસંતોષ રહેતો હોય છે. મનહરભાઈ અને દયાબહેન પાસેથી આપણને જે મળ્યું છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી જીવનને માણવું અને સુંદર બનાવવું તે શીખી શકાયું. એક વાર મનહરભાઈ હસતા હસતા બોલી ગયા હતા કે ઈશ્વર થોડીક ક્ષણો માટે જો દ્રષ્ટી આપે તો પાયલ કેવી દેખાય છે તે જોવાનું જ વરદાન અમે માંગી લઈએ. પાયલ ૧૫ વર્ષની થઇ અને તેઓએ ઘર બદલ્યું પછી તેઓનો સંપર્ક થયો નથી. અત્યારે પાયલ ૨૦ વર્ષની તરુણી થઇ ગઈ હશે હું પણ તેને મળવા ઈચ્છું છું.
લેખકMitul Bhavsar
on June 29, 2016 at 1:35 pm -
what a heart touching story. i finished reading with treary eyes. i hope they meet you soon, for non medical meeting of course. good helped them by sending them to you too.
લેખકNatavarbhai Patel ,memnagar
on July 29, 2017 at 8:20 pm -
along with the story Dr. you have focussed on positive thinking for life is suggested by you is impressive.Congratulations for good article.
લેખકDr.Ashish Chokshi
on July 30, 2017 at 5:36 pm -
thanks natwarbhai