ટીન એઇજ એટલે ૧૩વર્ષ થી ૧૯ વર્ષ વચ્ચેના સમયગાળામાં તરુણોની બાલ્યાવસ્થા અને મુગ્ધાવસ્થા પૂરી થતી હોય છે અને યુવાવસ્થા અને પુખ્ત વિચારોની ઉંમર શરૂ થતી હોય છે. યુવાનીના ઉંબરે તેમની સાથે સંકળાયેલી વ્યક્તિઓની લાગણીઓને તેઓ જિંદગીભર ભૂલી શક્તા નથી.
લાગણીઓના બધાજ પ્રકાર જેમકે સવેદના, પ્રેમ, સંભાળ, ગુસ્સો, હસીમજાક, માફી તેમને ગમે છે. આ બધી જ લાગણીઓને તેઓ હકારાત્મક રીતે લેતા હોય છે અને તેમાંથી કશું ગ્રહણ પણ કરતા હોય છે.
તેમને સમજનાર અને તેમને આ લાગણીઓ આપનાર વ્યક્તિના હૃદય સુધી તેઓ તરત પહોચી જતા હોય છે. તેઓને જે લોકો પોતાનું કહયા કરે અને હજુ પણ તેમને બાળક સમજી સલાહ આપ્યા કરે તે પસંદ નથી હોતું. તેમને પોતાની અંગત જિંદગીના પ્રશ્નો કોઈ પૂછે તે ગમતું નથી. આ ઉમરના બાળકો જે લોકો તેમનો દ્રષ્ટિકોણ સમજે, તેમને સ્વતંત્ર નિર્ણયો લેવા દે અને તેમને સાંભળે તેવી વ્યક્તિઓ વધુ પસંદ કરે છે.
તેમના જન્મદિવસે કે ખાસ પ્રસંગે કોઈએ આપેલા સરપ્રાઈઝને તેઓ ભૂલી શકતા નથી. આ ઉમરે ઘરની વ્યક્તિઓને પણ તેમની કાર્યક્ષમતા પર વિશ્વાસ નથી આવતો. તેઓ આ કામ નહીં કરી શકે તેમ માનતા હોય છે. જ્યારે આ બાળકોને તો કોઈ તેમના પર નવી જવાબદારી મૂકી તેમના પર વિશ્વાસ મુકે તે વધુ ગમે છે. તેમને વધુ પ્રશ્નો પૂછી કોઈ સી.આઈ.ડી ની જેમ વર્તે તેના કરતા તેમને વધુ સાંભળનાર સ્નેહીજનને તેઓ વધુ પસંદ કરે છે.
અત્યાર સુધી તેમની સાથે સંકળાયેલ વ્યક્તિઓની આ જ લાગણીઓ તેમને રક્ષણ, હુંફ, પ્રેમ અને સંભાળ આપતી હતી. હવે અચાનક તેમનો સ્વભાવ બદલાશે આથી તેમને નહીં સમજનાર લોકો તેમની સાથે વ્યહવાર ઓછો કરી નાખશે. પણ આ જ સમયે તેમને આ જ લાગણીઓ મળે તો તેઓના સ્વભાવ, વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર્ય પર હકારાત્મક અસર પડે છે. આ પ્રતિભાવ તેમને આપનાર કોઈ પણ વ્યક્તિ હોય જેમાં માતા-પિતા, શિક્ષક, ભાઈ-બહેન, નજીકનું કુટુંબીજન, મિત્ર કે મિત્રના માતાપિતા, અને માતા-પિતાના મિત્રો તેમના પોતાના માટેની લાગણીઓ અને હકારાત્મક પ્રતિભાવોને તેઓ જિંદગીભર ભૂલી નથી શકતા. તેમની સાથે સંકળાયેલ વ્યક્તિઓને પણ કાઈ ને કાઈ શીખવા મળે છે.
આ ઉંમરે તેઓ ભલે ઓછુ બોલે, પણ જ્યારે પણ તેઓ કઈક બોલે ત્યારે માતાપિતાએ પુરતું ધ્યાન આપી તેમને સાંભળવા જોઈએ.
ઘણીવાર તેમને સાંભળવાથી તેમની જરૂરિયાત અને ના કીધેલી જરૂરિયાત પણ શું હશે તે માતાપિતાએ સમજવાની જરૂર હોય છે. માત્ર ફી, સમય કે હાજરી નહીં પણ ધીરજથી તેમને સાંભળી તેમને તેમની જ ભાષામાં સમજાવવામાં આવે તો તેઓ ચોક્કસ સમજશે. આ માટે તેમના હ્રદયની અંદર પહોંચી ડોકિયું કરી તેમની ઈચ્છા, લાગણી, સંવેદના માતાપિતાએ સમજવી પડે તો તેમને પોતાના ટીન એઈજ બાળક માટે કોઈ પણ ફરિયાદ, અસંતોષ કે વેદના નહીં રહે.
લેખકફલક બારોટ
on April 30, 2019 at 9:26 am -
આનંદ તો એ વાતનો છે કે આ વિષય પર ચિંતન થાય છે. ઘણી સમસ્યાનું કદાચ બાળકોને સાંભળવું અને તેમને બોલવા દેવા એજ સમાધાન છે.
ફરીવાર અમને યાદ અપાવવા બદલ આશિષ સર આપનો આભાર.
લેખકDr. Ashish Chokshi
on April 30, 2019 at 5:21 pm -
અત્યારે તમારા બાળકોને તમે સાંભળશો તો ૨૫ વર્ષ પછી તેઓ તમને સાંભળશે. આભાર ફલકભાઈ