મારી બાળરોગ નિષ્ણાત તરીકેની પ્રેક્ટીસના ૨૭ વર્ષ દરમ્યાન મારે રોજ વિવિધ વિચારો, વિવિધ સ્વભાવ અને વિવિધ લાક્ષણિકતાઓ ધરાવતા માતાપિતાના સંપર્કમાં આવવાનું બને છે. આ દરમ્યાન મારે માતાપિતાને એક પતિપત્ની તરીકે સાથે અને બંનેને અલગ અલગ રીતે મળવાનું બને ત્યારે બંનેમાં રહેલા અલગ જ વ્યક્તિત્વના પાસાનું દર્શન થાય અને તેમના જીવનમાં રહેલી વિષમતા અને અધૂરપો જોવા મળે છે.
લગ્નજીવનનો કોરો કાગળ મનગમતા સુંદર રંગો અને પ્રેમની પીછીની રાહ જોઇને બેઠો હોય છે. પતિપત્નીએ સુંદર ચિત્ર બનાવવા માટે રંગોની ઓળખ અને યોગ્ય પીછીનો ઉપયોગ યોગ્ય સમયે કરવાનો હોય છે. પતિપત્ની વચ્ચે સમજ, સંતોષ અને સહનશીલતા જેવા ગુણો ઘટતા જાય છે અને ગેરસમજ, અસંતોષ, સંઘર્ષ અને ઈર્ષા જેવા ગુણો વધતા જાય છે તે આધુનિક સમાજની અત્યંત ગંભીર સમસ્યા છે.
‘દાંપત્યજીવન’ વિષયની દિવાળી પુસ્તિકાનો હેતુ જે નવદંપતી છે તેમને સરળ રીતે માર્ગદર્શન મળે, જે દંપતી માતાપિતા થયા છે તેઓ જીવનના સંઘર્ષ અને પડકારોને સહજતાથી પસાર કરી શકે અને જે વડીલ દંપતી છે તેઓ પુસ્તકના દ્રષ્ટાંતો દ્વારા તેમના જીવનને નવી દિશા આપી શકે તેવો છે. આ પુસ્તક લખવાની તક આપવા બદલ હું શ્રી ધવલભાઈ, શ્રી રશ્મીકાંતભાઈ અને સમગ્ર જમનાદાસ પરિવારનો આભારી છું.
બને કે દરેક વાત કે દરેક દ્રષ્ટાંત સાથે દરેકની સહમતિ ના પણ હોય અને અમુક વાતો વાસ્તવિક જીવનમાં શક્ય ન પણ હોય છતાં પુસ્તકમાની કોઈ વાત કે કોઈ ઉદાહરણ દવારા દાંપત્યજીવન માટેના કોઈના નકારાત્મક વિચાર, ગેરસમજ કે ગેરમાન્યતા દુર થાય એવો અમારો નમ્ર પ્રયાસ છે.
(હાલ આ પુસ્તક મારી હોસ્પિટલેથી મેળવી શકાશે)
એકબીજાની ટીકા થાય ત્યારે (પુસ્તકનું એક પ્રકરણ)
- ડીસેમ્બર ૧૯૬૯ : મન્સુરઅલીખાન પટોડી સાથે લગ્ન થયા ત્યારે કોઈ પત્રકારે શર્મિલા ટાગોરને પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘તેમને એક આંખ છે તો તમને લગ્નજીવનમાં કોઈ તકલીફ નહીં પડે?’ ત્યારે શર્મિલા ટાગોરે જવાબ આપ્યો હતો કે ‘એક આંખે કે આંખ વિના દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓને કેવી રીતે જોવાય તે મને નવાબ સાહેબે શીખવ્યું.’ તેમના મૃત્યુ પછી તેમની એક આંખનું પણ ચક્ષુદાન કરાવી શર્મિલાટાગોરે અંગદાનનો મહિમા સમાજને સુંદર રીતે સમજાવ્યો.
- સપ્ટેમ્બર ૨૦૧૮ : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના પત્ની અમૃતા ફડનવીસની તેમના સેલ્ફી ક્રેઝ માટે સોશિયલ મીડિયામાં ખુબ ટીકા થઈ. લોકોએ કહ્યું, 'એક મુખ્યપ્રધાનના પત્નીનું જાહેરમાં આવું વર્તન ના હોવું જોઈએ.' દેવેન્દ્ર ફડનવિસે જાહેરમાં ખુલાસો આપવો પડ્યો. તેમણે કહ્યું, 'અમૃતા હજુ નાની છે. નટખટ રહેવાની તેની ઉંમર છે. તે પોલિટિકલ કુટુંબમાંથી નથી આવતી. જાહેરમાં કેવું વર્તન કરાય તે ધીરે ધીરે શીખશે. બિચારીને લહેર કરવા દો ને. સમય આવ્યે તે ચોક્કસ ગંભીર થઈ જશે.' તેમના જવાબથી સૌને સંતોષ થયો. એક મહિલા પત્રકારે લખ્યું કે, 'પતિ હો તો ઐસા.'
- માર્ચ ૨૦૧૭ – ઓલમ્પિક સ્પર્ધા : દુનિયાના શ્રેષ્ઠ એથ્લેટ ગણાતા હુસેન બોલ્ટ આ સ્પર્ધામાં માત્ર બ્રોન્ઝ મેડલ મેળવી શક્યા. પત્રકારોના પ્રશ્નોના મારા વચ્ચે તેની પત્ની કાશી બેનેટે સુંદર જવાબ આપ્યો, ‘અમારા ઘરમાં ઘણા બધા ગોલ્ડ અને સિલ્વરમેડલ હતા, માત્ર બ્રોન્ઝ મેડલનો જ અભાવ હતો. જે હુસેને આજે મેળવ્યો.’ કેટલો સુંદર રીતે પતિનો બચાવ અને કેટલી પોઝીટીવ વાત.
- છેલ્લો બોલ : કેશિયર અને જ્યોતિષ બંનેમાં સામ્ય શું છે? - જવાબ - બંને રાશિ જોઇને જ આગળ વાત કરે છે.
લેખકDipsha
on October 17, 2019 at 1:10 pm -
As always, very inspirable, sir.