મુલાકાતી નંબર: 430,112

Ebook
સ્તનપાન આપતી માતાએ અનુસરવા જેવો નિયમ MOTHER
બાળકના જન્મ પછી પ્રથમ કલાકથી માતાએ નવજાતશિશુને ધાવણ આપવાનું શરૂ કરવાનું હોય છે. માતા નવજાતશિશુને પહેલા છ મહિના ફક્ત ધાવણ આપે તે બાળક તેમજ માતા બન્ને માટે ફાયદાકારક છે. માતા ચિંતામુક્ત રહીને સફળતાપૂર્વક આ કાર્ય સારી રીતે નિભાવી શકે તે માટે તે શું કરે છે તેવો અલગ અલગ ઉમર, સામાજિક વર્ગ તેમજ જ્ઞાતિની માતાઓ નો અભિપ્રાય લીધો હતો તેનો સાર જણાવું છું. મજાની વાત એ છે કે અલગ અલગ માતાએ પોતે પોતાની રીતે જ પ્રયત્નો કર્યા હતા જેમકે સંગીત (music), પ્રવાહી (oral fluids), અન્યની સાથે વાત (talk), શોખ ( hobby), હળવી કસરત (exercise), વાંચન (reading) માંથી દરેકનો પહેલો અક્ષર લઈએ તો ‘M O T H E R’ શબ્દ બને છે. ચાલો દરેક અક્ષરને આપણે વિગતવાર સમજીએ.

MUSIC (સંગીત) :

સંગીત ચોક્કસપણે પ્રસુતાનો ડર અને ચિંતાને ઓછી કરે છે. ઘણી બધી હોસ્પિટલોમાં માતાની પ્રસુતિ વખતે હળવું સંગીત ચાલુ રખાય છે. સંગીત પ્રસુતાની પીડા ઓછી કરે છે એવું નથી, પરંતુ પીડા સહન કરવાની શક્તિ વધારે છે તેવું ચોક્કસપણે કહી શકાય. ધાવણ આપતી માતા, કાંગારું કેર કરાવતી માતા ધાવણ આપતા પહેલા પાંચ મિનિટ શાંત ચિત્તે મનગમતું સંગીત સાંભળે તો ધાવણના જથ્થાની માત્રામાં થોડો વધારો થઇ શકે છે. કોઈ તકલીફવાળા નવજાત શિશુનાં જન્મ બાદ જ્યારે તેને ICU (સઘન સારવાર વિભાગ) માં ખસેડવું પડે તે બાળકની માતાને સંગીત સાથે સુંદર બાળકના ફોટા બતાવતા તેનામાં હકારાત્મક વિચારો ઉદભવે છે. અહીં બાળક માતા સાથે નથી છતાં માતામાં હકારાત્મક વિચારોને કારણે તેનું પોતાનું કાઢેલું ધાવણ (EBM) સારી માત્રામાં મેળવી શકાય છે. આ EBM અર્થાત experesed breast milk નવજાત શિશુને ખુબ મદદરૂપ થતું હોય છે. ચોક્કસ પ્રકારના ગીતો તેમજ હાલરડાં સાથેના શારીરિક સ્પર્શથી નવજાતશિશુ પણ પોતાની તકલીફો ભૂલીને થોડીવાર માટે શાંત થઇ જતું હોય છે.

Oral fluids (પ્રવાહી) :

ધાવણ આપતી માતાએ પોતાને મનગમતું પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ. શક્ય હોય તો દરેક વખતે ધાવણ આપવાની પાંચ મિનિટ પહેલા એક ગ્લાસ કોઈ પણ પ્રવાહી જેમકે જ્યુસ, સૂપ, છાસ, દૂધ અથવા સાદું પાણી પીવું જોઈએ. પુરતું પ્રવાહી ધાવણ આપતી માતાનો થાક, માથાનો દુખાવો, અશક્તિ વગેરે દુર કરે છે. ઉનાળામાં તાવ કે ઝાડા થયા હોય તેવી ધાવણ આપતી માતા તેમજ પોતાનું જ કાઢેલું ધાવણ (EBM) આપતી માતાએ પ્રવાહી યાદ રાખીને વધુ લેવું જોઈએ. પ્રવાહી વધુ લેવાથી ધાવણ વધુ આવે છે તેવું નથી હોતું પરંતુ વધુ પ્રવાહી લેનાર માતા તાજગી અને હળવાશ અનુભવે છે. થાક પણ ઓછો લાગે છે. તેને પેશાબમાં ચેપ લાગવાની અને કબજિયાત થવાની શક્યતા ઓછી રહે.છે.

Talk (વાતો) :

ધાત્રી માતાએ જ્યારે પણ તેનું બાળક સુઈ ગયું હોય ત્યારે કુટુંબના સભ્યો સાથે, પાડોશી સાથે કે પોતાની મિત્ર સાથે રૂબરૂ કે ફોનથી ૧૫ થી ૨૦ મિનિટ વાતો કરવી જોઈએ. ધાત્રી માતા અન્યને સાંભળે, અન્યની તકલીફો સાંભળે તો તે પોતાની મુશ્કેલીઓ સારી રીતે સંભાળી શકે અને સહન કરી શકે છે. માતા આ સમયને હકારાત્મક રીતે લઇ શકે તે માટે તેણે અન્યને મળવું, અન્ય સાથે વાતો કરવી ખુબ જરૂરી હોય છે. અન્ય અનુભવી માતાના અનુભવો તેમજ વિચારોને સાંભળવાથી ખાસ કરીને પ્રથમ વખત થતી માતાને વિશેષ ફાયદો થતો હોય છે.

Hobby (શોખ) :

પોતાને મનગમતી પ્રવૃત્તિ જેમકે સંગીત સાંભળવું, વાંચન કરવું, ચિત્રકામ કરવું કે ચાલવું વગેરે થોડી મિનિટો કરીને પણ માતા પોતાનામાં એક હકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. પોતાને જે ગમે છે અને પોતે જે શોખ વર્ષોથી પૂરો કર્યો છે તેને માટે થોડીક મિનિટો પણ ફાળવવાથી નવી જવાબદારી માતા સારી રીતે નિભાવી શકે છે.

Exercise (કસરત) :

ગાયનેક ડોકટરના માટે હળવી કસરત, યોગાસન કે પ્રાણાયામ ત્રણ અઠવાડિયા પછી ચાલુ કરી શકાય. કોઈ પણ પ્રકારની કસરત ચાલુ કરતા પહેલા ગાયનેક ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. હળવી કસરત ઓક્સીટોસીન અંતઃસ્ત્રાવ જેને ‘લવ હોર્મોન’ કહે છે તેનું પ્રમાણ માતાનાં શરીરમાં વધારે છે. આ અંતઃસ્ત્રાવ માતાનાં શરીરને મૂળ સ્થિતિમાં લાવવા ઉપરાંત માતાની ચિંતા, ગભરાટ અને ડર ને ઓછો કરે છે.

Reading (વાંચન) :

મેગેઝીન, રોજના છાપા કે ધાર્મિક પુસ્તકના વાંચનથી મગજમાં નવા વિચારોનું સર્જન થાય છે. માતા તેની અત્યારની ચિંતા અને તકલીફોને સારી રીતે સંભાળી શકે છે. આમ દરેક માતા ‘M’, ‘O’, ‘T’, ‘H’, ‘E’, ‘R’ માંથી જે વસ્તુ પોતાના માટે શક્ય હોય તે કરી આ સમયગાળો આનંદીત અને યાદગાર બનાવી શકે છે. અને તે બાળકને પહેલા ૬ માસ ફક્ત ધાવણ સફળતાપૂર્વક આપી શકે. તેના બાળકને ધાવણ સિવાય OTHER અર્થાત અન્ય કોઈ વસ્તુની જરૂર જ ના પડે. ( દિવ્યભાસ્કર ૬/૫/૨૦૧૪ )  

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો